તમને ઈર્ષ્યા થાય એવું મારી પાસે કંઈ નથી
માણસે ક્યારે સ્વીકારી લેવાનું કે જિંદગીમાં જે મળવાનું હતું તે મળી ગયું અને જે નથી મળ્યું તે મેળવવાની આપણી પાત્રતા ઓછી હતી એ પણ સિદ્ધ થઈ ગયું?
કેટલી જિંદગી જિવાતી હોય છે એક આયુષ્ય દરમ્યાન? એક? બે? કે ત્રણ? ઓછામાં ઓછી ચાર.
શાસ્ત્રોએ આપેલા ચાર વર્ણાશ્રમોની વ્યવસ્થાને નવેસરથી ગોઠવી લેવી જોઈએ. બ્રહ્નચર્યાશ્રમથી સન્યસ્તાશ્રમ સુધી પહોંચવાની યાત્રાના આરંભિક તથા આખરી અને વચલા માઈલસ્ટોન્સને થોડા જુદા નામથી ઓળખી લેવા જોઈએ. એ માણસ નસીબદાર છે જે આ ચારેચાર જિંદગીઓને એક જ આયુષ્યમાં ભરપૂર જીવી જાય છે. કઈ જિંદગીઓ છે એ ? આયુષ્યનો પહેલો ગાળો કૌતુકાશ્રમનો છે અથવા તો મુગ્ધાશ્રમનો.
બાર–તેર વર્ષની ઉંમર સુધી તમને કોઈનીય સાથે કુટિલ થતાં આવડતું નથી, કોઈની કુટિલતાનો સામનો કરતાં પણ આવડતું નથી. જિંદગીનાં તમામ સત્યોને તમે યથાતથ સ્વીકારી લો છો. દર્શક કે પ્રેક્ષક બનીને બધું જોવું છે, કશા પર આધિપત્ય જમાવવું નથી. દરિયાકિનારે રેતીનો ખૂબસૂરત કિલ્લો બનાવ્યો અને ડૅડીએ કહ્યું કે ચાલો, હવે ઘરે… ત્યારે એ કિલ્લો ઘરે લઈ જવાની જીદ બાળક કરતું નથી. એના માટે આ દુનિયામાં કશું જ પોતાનું નથી અથવા બધું જ એનું પોતાનું છે. માલિકીભાવ નહીં પણ સ્વ–ભાવ, પોતાના હોવાપણાનો ભાવ, એનામાં છે. કશુંક મેળવવાની જીદ વધુમાં વધુ ત્રણ મિનિટ કે ત્રણ દિવસ સુધી ચાલે છે. પછી એ જીદ ઓગળી જાય છે. કશુંય માપવા માટે એની પાસે પૂર્વનિર્ધારિત માપદંડ નથી – એનો દ્રષ્ટિકોણ પૂર્વગ્રહરહિત છે. એસેસમેન્ટ અને બાયસ જેવા શબ્દો એની ડિક્શનરીમાં હજુ ઉમેરાયા નથી.
મુગ્ધાશ્રમ પછી શરૂ થાય છે આસક્તિનો ગાળો. આ આસક્તાશ્રમ દરમ્યાન એ બધું જ મેળવી લેવા માગે છે. પ્રેમ, પૈસો, સેક્સ, પ્રસિદ્ધિ, ગ્લૅમર, ફેશન, પ્રવાસ, વૈભવો, તનથી અનુભવાય એવાં તમામ સુખ અને મનથી માણી શકાય એવા તમામ આનંદોની તૃષ્ણા એને ભરપૂર જીવન જીવતાં શીખવાડે છે.
મુગ્ધાશ્રમ પછી શરૂ થાય છે આસક્તિનો ગાળો. આ આસક્તાશ્રમ દરમ્યાન એ બધું જ મેળવી લેવા માગે છે. પ્રેમ, પૈસો, સેક્સ, પ્રસિદ્ધિ, ગ્લૅમર, ફેશન, પ્રવાસ, વૈભવો, તનથી અનુભવાય એવાં તમામ સુખ અને મનથી માણી શકાય એવા તમામ આનંદોની તૃષ્ણા એને ભરપૂર જીવન જીવતાં શીખવાડે છે. એ કશું જ જતું કરવા નથી ઈચ્છતો. એને બધ્ધું જોઈએ છે અને હજુ વધારે જોઈએ છે, ક્યારેય ન ખૂટે એટલું જોઈએ છે.
જીવન સાથેની આ આસક્તિ ૧૪ કે પંદર વર્ષે આરંભાય છે અને એ પછીના બે, ત્રણ અને ચાર દાયકા દરમ્યાન ક્રમશ: પરાકાષ્ઠાએ પહોંચે છે, લગભગ ૫૫ વર્ષની ઉંમરે. આ વર્ષોમાં પોતે જે ધાર્યું છે તે બધું જ મેળવવાના પ્રયત્નો કરી લીધા છે. એ પ્રયત્નો સફળ થયા કે નિષ્ફળ એ અલગ વાત છે, પણ પ્રયત્નો પૂરેપૂરા થયા છે. મનમાં, હૃદયમાં ખૂબ બધી લાગણીઓ ઠાંસી ઠાંસીને ભરી લીધી છે. ખડખડાટ હાસ્ય અને છાતીફાટ રુદનનાં અંતિમો વચ્ચેના તમામ પડાવો અનુભવી લીધા છે. અને મનની જેમ એના ઘરમાં, એનાપોતાના રૂમમાં, નાની–મોટી અનેક ચીજોનો સંગ્રહ એ કરી ચૂક્યો છે. અને એમાં જે કંઈ નથી એના સપનાં એની પાસે છે. પંદરથી પંચાવન વર્ષ સુધી પહોંચતાં સુધીમાં એણે પોતાની દુનિયાને ફેલાવાય એટલી ફેલાવી દીધી છે. બાળક તોતિંગ ફુગ્ગામાં હવા ફૂંકી ફૂંકીને એને એટલો તસતસતો બનાવી દે કે હવે જો એક જ ફૂંક વધારે ગઈ તો ધડાકો થઈ જશે, પણ એવું બને તે પહેલાં, એક ફૂંક ઓછી રાખીને એ ગાંઠ મારી દે છે. પંચાવન વર્ષ દરમ્યાન ફેલાયા કરતી દુનિયા એક જ વધારાની ફૂંકને કારણે વેરવિખેર થઈ શકતી હોય છે. જેઓ સાચવી રાખે છે એ એક ફૂંકને અને બાંધી લે છે ગાંઠને, એને ગાંઠ બાંધ્યાની વેળાનો અવસર બાકીની આખી જિંદગી ઊજવી શકાય એવી તસતસતી પ્રસન્નતાની આજીવન ભેટ સાથે મળે છે.
અને પંચાવન વર્ષ પછી માણસે સ્વીકારી લેવાનું છે કે જિંદગીમાં જે મળવાનું હતું તે મળી ગયું છે અથવા તો મળવાની શરૂઆત થઈ ગઈ છે. અને જે નથી જ મળવાનું તે મેળવવાની આપણી પાત્રતા ઓછી હતી તે પણ સિદ્ધ થઈ ગયું છે. પંચાવન વર્ષની ઉંમરે માણસને પોતાની મર્યાદાઓનો અને પોતાનામાં રહેલી ક્ષમતાનો, પોતાની કૅપેસિટી કે પોતાના પોટેન્શિયલનો ઘણોખરો અંદાજ આવી જવો જોઈએ, જેથી જ્યાં પ્રયત્ન નથી કરવાનો ત્યાં એ ફાંફાં ન મારે અને એના કરતાં વધારે અગત્યનું – જ્યાં શક્યતાઓ છે ત્યાં જ વધારે ધ્યાન આપે.
આસક્તાશ્રમમાં જે કંઈ પામી લીધું એને પંચાવનથી પાંસઠના તટસ્થાશ્રમમાં માણતાં શીખી લેવાનું હોય છે. જે નથી તેનો અફસોસ છોડીને જે છે એને ભરપૂર માણી લેતાં શીખી લેવાનું છે
આસક્તાશ્રમમાં જે કંઈ પામી લીધું એને પંચાવનથી પાંસઠના તટસ્થાશ્રમમાં માણતાં શીખી લેવાનું હોય છે. જે નથી તેનો અફસોસ છોડીને જે છે એને ભરપૂર માણી લેતાં શીખી લેવાનું છે, કારણ કે હવે એક થડકો મનમાં છે કે કાલ ઊઠીને કંઈક થઈ ગયું તો તમે ક્યાં હશો ? કોઈક ખાનગી હૉસ્પિટલના આઈસીસીયુમાં કે પછી સરકારી હૉસ્પિટલના મોર્ગમાં. ઓછી મદિરાનો અને ગળતા જામનો હવે કોઈ ઉપાય નથી એની પ્રતીતિ થઈ ચૂકી છે. પરિસ્થિતિ સાથેનું સમાધાન પૂરેપૂરું છે. જિંદગીમાં નવું કશું જ ઉમેરવાની તૃષ્ણા નથી – વધુ સંબંધો, વધુ પૈસો, વધુ મિલકત, વધુ ચીજવસ્તુઓ. કારણ કે તમને ખબર છે કે હવે, અહીં સુધી પહોંચ્યા પછી, જો આ તૃષ્ણાઓ અધૂરી રહી જશે તો તે કાયમ માટે અધૂરી રહી જશે. અને અધૂરી રહેતી તૃષ્ણાઓ માણસને તોડી નાખે છે એની તમને ખબર છે. આગળના આશ્રમમાં એવી તડજોડ ખૂબ થઈ પણ હવે એ પોસાય એમ નથી. શરીરની ઉંમર વધતાં હાડકું સંધાતાં વાર લાગે એવું જ કંઈક મનની તૂટેલી લાગણીઓ સાથે બને છે.
પાંસઠ પછી વિરક્તાશ્રમ શરૂ થાય છે. એક પછી એક બધું જ છોડતાં જવાનું છે…આ એક એવી અવસ્થા છે જ્યારે કોઈક છીનવી લે તે પહેલાં જ છોડી દેવામાં વધારે મઝા આવવાની છે
પાંસઠ પછી વિરક્તાશ્રમ શરૂ થાય છે. એક પછી એક બધું જ છોડતાં જવાનું છે. મિત્રોમાંથી કોઈકને આ દુનિયામાથી વિદાય આપવાની છે. ધીમે ધીમે આવી વિદાયો વધતી જવાની છે અને તમને ખબર પડતી જવાની છે કે નનામી પર સૂતેલો મૃતદેહ સ્મશાનના દરવાજા પર આવે ત્યારે એના માથા તથા પગની દિશા ઊલટસૂલટ કર્યા પછી જ નનામીને ખભા પર લીધા વિના, નીચા હાથે એને ચિતા સુધી લઈ જવાની છે.
આ એક એવી અવસ્થા છે જ્યારે કોઈક છીનવી લે તે પહેલાં જ છોડી દેવામાં વધારે મઝા આવવાની છે. આસક્તિના ગાળામાં એકઠું કરેલું બધું જ એક પછી એક છોડી દેવાનો, સામે ચાલીને ત્યજી દેવાનો મનને ફરી એક વાર હળવું બનાવી દેવાનો સમયગાળો છે. કબીરવાળી સફેદ ચાદરને ફરી જેવી હતી તેવી કરીને પાછી સોંપી દેવાનો ગાળો છે. વિરક્તાશ્રમના છેલ્લા તબક્કા પર પહોંચી ગયા પછી માણસમાં દુનિયા માટે વિરક્તિનો તીવ્ર ભાવ રમતો રહે છે : તમને ઈર્ષ્યા આવે એવું મારી પાસે કંઈ નથી, એટલે હું તમારા કરતાં વધુ સુખી છું.
આ લેખ તમને ગમ્યો ? તો ‘બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.
(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે, ૧૯૯૫-૧૯૯૯ના ગાળામાં, લખાયો અને હવે પ્રગટ થનારા ‘સાઠ પછીનો સૂર્યોદય ’ પુસ્તકમાં પ્રગટ થશે.)

બહુ સરસ.
સૌરભભાઈ,
હ્રદયને હચમચાવી નાંખે એવિ વાત કહી.તમને ઈર્ષ્યા થાય એવું મારી પાસે કંઈ નથી.સચૉટ શિર્ષક છે!!
મારી પાસે થોડા તૂટેલાં સંબંધો અને હ્રદય વલોવી નાંખતી વેદના છે મારી ઈર્ષા કોને થાય?
સપના
વાહ સૌરભભાઇ,
તમે તો શુ લખો ચ્હો બોસ. મને પણ ૫૫ ની ઉમરે વિચારવા મજ્બુર કરિ નાખ્યો.
ખુબ સરસ – આમ જ બ્લોગ પર કૈક અવન્વુ મુક્તા રહો.
Saurabhji,
Good projection of life with new categorisation.
Why should a person say ‘I dont have anything which can ‘Envy’ you!
Most people on this earth live and collect money,relations or material, mostly for the envy of others and less for the self.
If, he/she go for such things for the self’s satisfaction then it may lead him/her to the fourth stage very soon but, only this envious attraction (whether we agree or not) keeps running for them.
Contrary views are expected and welcome for more insight.
I am a born-living learner.
juss too good..!! loved it ..:)
AA AKHI JINDGI NU TUKAN MA ATLU SHRSH VRAN. WOW
સૌરભજી,
આજના તમારા લેખ પ્રમાણે જો હરેક મનુષ્ય વિચારે તો ભાગ્યે જ દુઃખી માણસો જોવા મળે.
ખરેખર સુંદર…ફરી પણ લખતા રહેશો.
સૌરભભાઈ, તમારી કોલમ નિયમિત વાંચતો હતો અને આજે ફરી એક વાર આટ્લો સરસ લેખ વાંચીને તમારી કલમની દાદ આપવી ઘટે. ખરેખર આ લેખ મન ને હલબલાવી ગયો.