મારા તંત્રીઓ:૧ હસમુખ ગાંધી:કચ્છના જિલ્લા કેટલા

July 8, 2009

૭-૭-૦૯ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા બધાને યાદ કર્યા. સૌના વિશે લખવું છે. શરૂઆત મારા તંત્રીઓથી. આ લેખના શીર્ષક (‘મારા તંત્રીઓ’)ની પ્રેરણા સ્વામી આનંદે પોતાના જાતભાઈઓ  યાને કિ ભાતભાતના સાધુઓ વિશે લખેલા લેખ ‘મારા પિતરાઈઓ ’ પરથી મળી. ત્રણ લેખોની આ શ્રૄંખલાના આ પ્રથમ લેખમાં હસમુખ ગાંધી વિશે.

યશવંત દોશી પાસેથી ભાષાની સ્વચ્છતા શીખવા મળી, હરકિસન મહેતા પાસેથી અભિવ્યક્તિની સ્પષ્ટતા અને હસમુખ ગાંધી પાસેથી વૈચારિક સજ્જતા શીખવા મળી.

હસમૂખ ગાંધી

હસમૂખ ગાંધી

બોલો જોઉં, કચ્છના જિલ્લા કેટલા ? બપોરનું ‘જન્મભૂમિ’ છપાઈને આવી ગયું એટલે એનું એડિટ પેજ ખોલીને ‘જન્મભૂમિ’ના જ રૂમમાં ખૂણા પર બેસતા ‘પ્રવાસી’ના સ્ટાફમાં હસમુખ ગાંધી ફરી વળ્યા. એડિટ પેજ પર તોતિંગ હેડિંગ હતું : ‘કચ્છના તમામ અગિયાર જિલ્લામાં ભીષણ દુકાળની પરિસ્થિતિ.’ કોઈ કહે પંદર જિલ્લા, કોઈ કહે ૧૪ તો કોઈ કહે એકવીસ. પાંચ મિનિટના સસ્પેન્સ પછી ગાંધીભાઈએ મૌન તોડ્યું. : ‘મિત્રો , કચ્છ પોતે જ એક જિલ્લો છે, એને તાલુકા હોય, જિલ્લા નહીં.’!

એ દિવસે ‘જન્મભૂમિ’ની બ્લન્ડર સેલિબ્રેટ કરવા ‘પ્રવાસી’ના તમામ પત્રકારોએ કેન્ટીનમાંથી ચા અને તીખા ગાંઠિયા મગાવ્યા.

૧૯૭૯ની સાલમાં ‘જનશક્તિ’માં આગ લાગી અને છાપું બંધ પડ્યું. સારું છાપું હતું. હસમુખ ગાંધી ‘જનશક્તિ’ના મદદનીશ તંત્રી હતા પણ તંત્રી હરીન્દ્ર દવેનું નામ મોટું એટલે સારું છાપું કાઢવાનો યશ, હરીન્દ્રભાઈની ઈચ્છા ન હોવા છતાં , હરીન્દ્રભાઈને જ મળતો. ‘જનશક્તિ’ બંધ પડ્યું અને આખી ટીમ સાગમટે  ‘જન્મભૂમિ’ ગ્રુપમાં જોડાઈ, સવારનું દૈનિક ‘પ્રવાસી’ શરૂ કરવા. ‘જન્મભૂમિ’ના વર્ષોથી જામી પડેલા કેટલાક બેઠાડુ સ્ટાફની આંખમાં, નવી વહુના દીકરા જેવા આ ‘પ્રવાસી’વાળાઓ, કણાની જેમ ખૂંચતા. હરીન્દ્ર દવેના તંત્રીપદે અને હસમુખ ગાંધીના મદદનીશ તંત્રીપદે ‘પ્રવાસી’ પણ સારું નીકળ્યું. એનો યશ પણ રાબેતા મુજબ, હરીન્દ્રભાઈની ઇચ્છા ન હોવા છતાં, હરીન્દ્રભાઈને જ મળ્યો. ‘જનશક્તિ’માં હસમુખ ગાંધી એડિટોરિયલ(તંત્રીલેખ/અગ્રલેખ), પ્રાસંગિક લેખો અને રાજકીય સમીક્ષાથી માંડીને નાટકના રિવ્યુ પણ લખતા. ‘પ્રવાસી’માં પણ આ બધું જ લખતા, નાટકના રિવ્યુ સિવાય. પણ એ વખતે હસમુખ ગાંધીની બાયલાઈન ઓછી જાણીતી. વાચકોમાં તો એમના નામનું ગ્લેમર નહોતું જ ; પત્રકારોમાં પણ, મુંબઈના મુઠ્ઠીભર પત્રકારોને બાદ કરતાં, ગુજરાતના ભાગ્યે જ કોઇ પત્રકારને ખબર કે હસમુખ ગાંધી નામે કોઇ પત્રકાર છે. આનું કારણ એ હોઈ શકે કે કોઈ પણ છાપું એક જ નામ સાથે સંકળાયેલું હોય એવી ઇમેજ વાચકોના મનમાં અનાયાસે ઊભી થઈ જતી હોય છે. હસમુખ ગાંધીએ ‘જનશક્તિ’ અને ‘પ્રવાસી’ બંનેમાં હાઇપ્રોફાઈલ ધરાવતા તંત્રી હરીન્દ્ર દવેની છાયામાં કામ કર્યું.

વિદાય સમારંભ

વિદાય સમારંભ

૧૯૭૯માં ‘પ્રવાસી’ શરૂ થયું એના બેએક મહિનામાં જ એના તંત્રી ખાતામાં જુનિયરસબએડિટર તરીકે જોડાયો ત્યારે હરીન્દ્ર દવે અને હસમુખ ગાંધી જે છાપામાં કામ કરે છે એ જ છાપામાં આપણને પણ નોકરી કરવા મળે એ વાત પગાર ઉપરાંતના જથ્થાબંધ ભથ્થા જેવી લાગતી.

હસમુખ ગાંધીએ ૧૪ એપ્રિલ,૧૯૮૩ના રોજ એક્સપ્રેસ ગ્રુપમાં જોડાઈને ૧૪ જન્યુઆરી, ૧૯૮૪થી ‘સમકાલીન’ શરૂ કર્યું ત્યારે  તંત્રી અને પત્રકાર તરીકેની એમની તમામ ખાસિયતો પૂર્ણરૂપે બહાર આવી અને આમવાચકો સુધી પહોંચતી થઈ. મુંબઈના જ નહીં, ગુજરાતના ગામેગામના પત્રકારો એમને આદર્શ પત્રકારની ઉપમા આપવા ઉતાવળા થઈ ગયા. અત્યાર સુધી ગાંધીવાદી ખાદી જેવું એમનું નામ વાચકોમાં એકાએક ગ્લેમરસ ગણાતું થઈ ગયું. ‘સમકાલીન’માં દોઢ વર્ષ સુધી મેં ગાંધીભાઈની આંખ નીચે અને એમની ધાક નીચે કામ કર્યું. ‘પ્રવાસી’ અને ‘સમકાલીન’ની વચ્ચેના ગાળામાં ‘નિખાલસ’ શરૂ કર્યું ત્યારે એમણે બહુ ઉમળકાભેર મારા સાપ્તાહિક માટે ’રાજકીય અક્ષાંશ રેખાંશ’ નામની નિયમિત કૉલમ લખી.

શીખતાં તો રહીએ છીએ આપણે સતત, આપણી આસપાસની વ્યક્તિઓ પાસેથી. પણ હસમુખ ગાંધી પાસેથી કંઇક વિશેષ શીખવાનું મળ્યું. પત્રકારત્વનું ક્ષેત્ર એવું નથી જેમાં તમારી આંગળી પકડીને તમને એકડો ઘૂંટતા શીખવાડી શકે. એકલવ્યની જેમ શીખતા રહેવું પડે તમારે. શું શીખ્યા એમની પાસે ? ભાષાની સજ્જતા અને માહિતીની તારવણી. પત્રકાર પાસે બે સૌથી મહત્વનાં ઓજાર હોય તો તે આ જ : ભાષા અને માહિતી. હસમુખ ગાંધીનાં આ બંને ઓજાર ધારદાર. માહિતીની બાબતમાં અન્ય પત્રકારોની સરખામણીએ એ અનેકગણા અપટુડેટ. એ વાંચે એટલાં છાપાં, મૅગેઝિનો અને પુસ્તકોમાંના રાજકીય સમાચારો કે લેખો, બીજા કોઈ તંત્રી વાંચતા નહોતા. ગાંધીભાઈની ભાષા. ગુજરાતી ભાષામાં છુપાઇને પડી રહેલું શબ્દનું રૌદ્ર સ્વરૂપ બહાર લાવવાની એમનામાં જબરજસ્ત ફાવટ. કોઈ નીતિ, વ્યક્તિ કે ઘટના, વિચારની સાથે તેઓ સહમત ન થતા હોય ત્યારે એમની ભાષા સત્તરે કળાએ ખીલી ઊઠે, સત્તરમી કળા પેપરવેઈટ છુટ્ટાં ઉછળવાની.

અંગ્રેજી શબ્દોનું એમને ભારે વળગણ (ઓબ્સેશન). આ વળગણ ન હોત તો પણ એમની ભાષામાં આટલી જ તાજગી હોત, કદાચ વધારે. એક દિવસ કોઈ પત્રકાર વિદેશી મૅગેઝિનમાંથી તફડાવેલો લેખ પોતાના નામે છપાવવા આપી ગયા. એમના ગયા પછી ગાંધીભાઈ કહે, ‘આ માણસના લેખોમાં ક્યારેય મૌલિક વાત હોતી નથી. તરજૂમામાં ભૂલ કરે એ જ એમની મૌલિકતા.’

હસમુખ ગાંધીની ભાષા અને એમનાં મથાળાંની સ્ટાઈલની આડેધડ નકલ થાય છે. એમના હાથ નીચે કામ કરી ગયેલા પત્રકારો મોરનાં ઇંડાં ગણાય છે. બીજે જાય ત્યારે એમને બે પૈસા વધારે મળે. પરંતુ હસમુખ ગાંધીની શૈલીનું નાદાનીપૂર્વક અનુકરણ કરે ત્યારે આ પત્રકારો કમનસીબે, મોરનાં ઇંડાંની આમલેટ જેવા લાગે.

હસમુખ ગાંધી અંગત વાતચીતથી માંડીને જાહેર લખાણો અને તંત્રીલેખોમાં પણ અતિશયોક્તિ કરવા માટે જાણીતા. એક પ્રકાશિત મુલાકાતમાં મેં એમને આ વિશે સવાલ કર્યો ત્યારે એમની દલીલ હતી કે અતિશયોક્તિ થતી હશે તો તે સત્યની જ અતિશયોક્તિ હશે. હસમુખ ગાંધીને જોખી તોળીને બોલતાં ન ફાવે. આનો એક સીધો ફાયદો એ કે બીજા તંત્રીઓની સરખામણીએ એમનું વ્યક્તિત્વ વધુ પારદર્શક દેખાય. પણ ગેરફાયદો એ કે ગઈકાલે જો એમણે તમને ‘સોનાના માણસ’ કહીને નવાજ્યા હોય તો આજે એમનો અભિપ્રાય આવો પણ હોઈ શકે : ‘એ ગમારને નાક સાફ કરતાં પણ આવડતું નથી અને પોતાને પત્રકાર કહેવડાવે છે.’ એમનું ચાલે તો પત્રકારત્વના અભ્યાસક્રમમાં એક આખું પેપર, નાસિકા પ્રક્ષાલન વિશેનું દાખલ કરે. ગાંધીભાઈએ ‘સમકાલીન’માં  ઓછામાં ઓછી ડઝન વાર આખું પાનું ભરીને એડિટોરિયલ લખ્યા છે. તો કોઈક દિવસ એવું પણ બન્યું છે કે છાપામાં એમણે લખેલી કોઈ કૉલમ હોય પણ અગ્રલેખ ક્યાંય ન હોય.

ગાંધીભાઈના હાથ નીચે દોઢ વર્ષ ‘પ્રવાસી’ માં અને દોઢ વર્ષ ‘સમકાલીન’માં કામ કર્યા પછી અને એમની સાથે ૧૯૭૯થી શરૂ થયેલા સંબંધ પછી હું બે નિર્ણય પર આવ્યો છું : એક, કોઈ પણ ગુજરાતી પત્રકારે પોતાની કારકિર્દીને તેજસ્વી મોડ આપવો હોય તો એણે હસમુખ ગાંધી સાથે ઓછામાં ઓછું એક વર્ષ કામ કરવું. અને બે, કોઈ પણ ગુજરાતી પત્રકારે પોતાની કારકિર્દીને તેજસ્વી મોડ આપવો હોય તો એણે હસમુખ ગાંધી સાથે વધુમાં વધુ એક વર્ષ કામ કરવું.

છેલ્લી સલામ

છેલ્લી સલામ: હસમુખ ગાંધી સહિતના મારા તંત્રીઓ વિશેનો આ લેખ લખાયો કોઈક અન્ય પ્રસંગે અને ગાધીભાઈએ લેખના છેલ્લા વાક્ય સહિત ‘સમકાલીન’માં પ્રગટ થવા દીધો! ૧૯૯૩-૯૪ની એ વાત. પાંચ વર્ષ પ્છી, ૧૯૯૮ની ૨૬ જાન્યુઆરીએ ૬૬ વર્ષની, હજુ ઘણું જીવી શક્યા હોત એવી, ઉંમરે એમણે પાર્લા,મુંબઈની હોસ્પિટલમાં મારી હાજરીમાં છેલ્લો શ્વાસ લીધો. ૨૪ દિવસ પછી, ૧૯ ફેબ્રુઆરીએ ગાંધીભાઈએ ૬૭મો જન્મદિવસ ઉજવ્યો હોત જે એમની ગેરહયાતિમાં અમે ઉજવ્યો. અમે એટ્લે ગુણવંત શાહ, મધુ રાય, નગીનદાસ સંઘવી, કાન્તિ મડિયા, અરવિંદ જોષી, દર્શન જરીવાલા, મનોજ જોષી, દીપક દવે, અવિનાશ પારેખ અને અન્ય.સમગ્ર કાર્યક્રમનું દિગ્દર્શન લતેશ શાહે અને આયોજન તથા સંચાલન મેં કર્યું. કોઈ પણ ગુજરાતી પત્રકારને મરવાનું મન થઈ જાય એવી આ સ્મુતિસભા હતી જેમાં પ્રવચન-સંસ્મરણો ઉપરાંત ગાંધીભાઈના યાદગાર તંત્રીલેખોનું પઠન થયું અને એમને પ્રિય શમશાદ બેગમનાં ગીતોની ઝલક અને એમના પોતાના અવાજની દુર્લભ ઝાંખી પણ રજૂથઈ.

(આવતી કાલે યશવંત દોશી, પરમ દિવસે હરકિસન મહેતા)

20 Responses to મારા તંત્રીઓ:૧ હસમુખ ગાંધી:કચ્છના જિલ્લા કેટલા

  1. Dr.Maulik Shah on July 8, 2009 at 10:44 PM

    આગળ વધ્યા પછી પાછળના પગથિયા વિષે ભૂલી જવુ મનુષ્યસ્વભાવની સહજ સ્વાર્થવૃતિ ગણી શકાય!!.આવા સમયે પાછળ ફરી વિતેલા સમયના આપણા સારથીને યાદ કરવુ અને તેમના વિશે ઋણ અદાયગી કરવી ખૂબ પ્રેરણાદાયક કાર્ય છે. અભિનંદન્…

  2. SALIL DALAL (TORONTO) on July 9, 2009 at 7:36 AM

    ‘સમકાલીન’ના દિવસોમાં હસમુખ ગાંધી ને મુંબઈમાં તે રહેતા હતા ત્યાં અને તે પણ સવારના પહોરમાં મળી શકાયું હતું. ત્યારે તેમને ખાસો એવો સમય ભગવાન શ્રીનાથજીની પૂજા કરતા જોયા હતા. તેમના વ્યક્તિત્વના એ ધાર્મિક પાસા અંગે ક્યારેક તમારા(સૌરભ શાહ) સરખા અનુભવી પાસેથી કઈક જાણવા મળે કે?

  3. gopal h parekh on July 9, 2009 at 9:07 AM

    શ્રીહસમુખ ગાઁધી જ્યારે ઘાટકોપરની રામજી આસર સ્કૂલમાઁ ભણાવતા ત્યારે હુઁ એમનો વિદ્યાર્થી હતો, આ લેખ વાઁચીને ભૂતકાળ જાગ્યો, આભાર

  4. Atul Jani (Agantuk) on July 9, 2009 at 9:45 AM

    ભાષાની સ્વચ્છતાના તંત્રી વીશે જાણીને આનંદ થયો હવે અભિવ્યક્તિની સ્પષ્ટતા અને વૈચારીક સજ્જતાના તંત્રીઓને માણવાની પણ એટલી જ આતુરતા રહે છે.

  5. JITU MAVANI on July 9, 2009 at 10:16 AM

    yar maja maja aavi gai.hashmukh gandhi no lekh aaje vachyo. haji pan vistar thi lakho- sansmarano sathe, please.

  6. Envy on July 9, 2009 at 10:26 AM

    It is always helpful and beneficial to lean from the person you come in contact.
    Many persons have some detering attitude but they have such knowledge and virtues which can build your life like rock.Only thing required is your courage and patience to absorb.

  7. યશવંત ઠક્કર on July 9, 2009 at 10:42 AM

    થોડામાં ઘણું સમજાવી દીધું. સરસ લેખ.

  8. Gaurang on July 9, 2009 at 11:40 AM

    I used to follow Mr.Hasmukh Gandhi very keenly in Samkaleen…Still can’t think of Samkaleen without Hasmukh Gandhi. I loved him,hated him but could never ignore him. Is there a possibility, where we can get his all articles,editorial in digital form. I really missed him during 26/11, election and budget…I really miss Hasmukh Gandhi.

  9. shishir on July 9, 2009 at 1:56 PM

    ગુજરાતી વર્તમાનપત્રના કર્મચારીઓને, ક્ચ્છ જિલ્લો છે એ ખ્યાલ ન હોય એ જરા વધુ પડતું કહેવાય. હવે તો તંત્રીઓનો એ જમાનો ગયો. તમે ભાગ્યશાળી છો કે તમને આ માંધાતાઓ સાથે કામ કરવાનો અવસર સાપડ્યો.

  10. હિરેન અંતાણી on July 10, 2009 at 1:31 PM

    કચ્છ વિશે ગેરમાહિતીની પરંપરા યથાવત છે.

    ‘જન્મભૂમિ’ જેવા દૈનિકમાં મારા વતન કચ્છ વિશે થયેલી ભૂલ વાંચીને નવાઇ લાગી. જે છાપાની લાયબ્રેરીના,રેફરન્સ કલેકશનના,બહુ વખાણ સાંભળ્યા હોય ત્યાં આવું થઇ શકે એ જાણીને આંચકો પણ લાગ્યો.
    પણ, કચ્છ બહારના મોટાભાગના લોકો આ પ્રદેશને ઓળખવામાં થાપ ખાતા રહ્યા છે. એક પ્રસંગ યાદ આવ્યો. 2001માં ભૂકંપ આવ્યો તે પછી અંજારમાં સફાઇની કામગીરી રાજય સરકારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી હતી. એ વખતે કોર્પોરેશનના અધિકારીઓ સાથે કેટલાક પત્રકારો પણ ભૂકંપગ્રસ્ત કચ્છની પિકનિક પર જઇ આવ્યા. આ પ્રવાસની વાત કરતાં મેયરની કેબિનમાં વડોદરાના એક કરોડપતિ પત્રકારે કહ્યું; અંજાર તો જઇ આવ્યા પણ, હજુ કચ્છ જવાનું બાકી છે! હજુ તો એક આઘાત હું સહન કરું તે પહેલાં એક અધિકારીએ બીજો ફટકો માર્યો, ‘ચિંતા શું કરો છો, આવતાં અઠવાડિયે અંજાર જશું તો ત્યાંથી તમને કચ્છ પણ લઇ જશું.’!

  11. jaysukh talavia on July 13, 2009 at 8:38 PM

    ૧૯૮૮ આસપાસ હસમુખ ગાંધીને ને સમકાલીનમાં ખૂબ વાંચ્યા છે.ધારદાર અને આખાબોલી ભાષા,તળપદિ અને તીખી તમતમતી કલમના એ કલાકાર હતા. બે ઘડી મજા પડી જતી હતી.
    એમના તંત્રી લેખોનો સમ્પુટ ક્યાં મળે? જરા જણાવશો?

    • vinod patel on October 31, 2010 at 9:51 PM

      Dear jaysukh

      i got some rare edition of samkaleen if u r interested send your e-mail.

      • VINOD NANDHA on October 10, 2011 at 9:03 PM

        Dear Vinod Patel,
        I am searching Samakaleen daily any edition between 1984 to 1995. Can you send me? I will be highly obliged.
        my email : vinodnandha@hotmail.com

      • Nikhil Dave on February 18, 2012 at 4:00 PM

        Ia also want some edition of Samkaleen…

        Waiting Eagrrrrrrrrrly Sir,

        Nikhil Dave.

      • jayesh on March 12, 2012 at 3:38 PM

        Please send some samkalin lekh to me.
        Thank you

        Jayesh.

        bemisal_2008@yahoo.co.in

  12. dinesh patel on August 10, 2009 at 8:20 PM

    best shraddanjali first time read hasmukh gandhi in details,
    like his artical with “dilse”in young time salam sir Hasmukh gandhigi,

  13. vinod nandha on June 21, 2010 at 12:26 AM

    હસમુખ ગાંધી ના તંત્રી લેખો નો સંગ્રહ કયાં મળી શકે તે જણાવશો.

    • સૌરભ શાહ on July 10, 2010 at 11:11 AM

      ટુંક સમયમાં જણાવીશું. કામ ચાલુ છે.

    • vinod patel on October 31, 2010 at 9:53 PM

      Dear vinod

      i got some rare edition of samkaleen if u r interested send your e-mail.

  14. kirit shah on July 25, 2011 at 2:28 PM

    I also need Ghandhi bhai All Tantri lekhs pl.share if u get sir.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME