Day ૭, રવિવાર, ૩૧ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઇન
મોરારિબાપુ સાથે એક વખત અમદાવાદમાં મળવાનું થયું ત્યારે મૂકેશ અને અનિલ અંબાણી છુટા પડ્યા હતા. આ ઘટના વિશે એક અખબારે મોરારિબાપુનો કથિત ઈન્ટરવ્યુ લઈને એમના મોઢામાં એવા શબ્દો મૂક્યા હતા જે કોઈ વાંચે તો લાગે કે બાપુએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. હકીકત એ હતી કે જે છાપામાં મોરારિબાપુના નામે આ શબ્દો છપાયા તેના રિપોર્ટરે બાપુ સાથે આ વિષય પર વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે બાપુએ ફોન પર આવ્યા વિના સીધું જ કહેવડાવી દીધું કે ભાઈ માફ કરશો… આ વિશે હું તમારી સાથે વાત કરવા નથી માગતો.
વારંવારના નિષ્ફળ પ્રયત્નો પછી રિપોર્ટરે પોતાની કલ્પનાશક્તિ દોડાવીને વાચકોને ચટપટું લાગે તેવા ઍન્ગલથી બાપુની લાગે એવી ભાષામાં રિપોર્ટ લખ્યો જે બીજે દિવસે છપાઈ ગયો. બાપુ ઘણી વખત ત્રણ શબ્દોના પ્રાસ મેળવીને બોલતા હોય છે. દા.ત.: પાણી, વાણી અને લ્હાણી અથવા આનંદ, નિજાનંદ અને પરમાનંદ. પછી એ ત્રણેય શબ્દો વિશે મૌલિક ટિપ્પ્ણીઓ કરી મૂળ વિષયને વધુ સરળતાથી, ઉંડાણપૂર્વક અને રસપ્રદ રીતે સમજાવતા હોય છે.
રિપોર્ટરભાઈએ પણ સંપત્તિ, સંતતિ, આપત્તિ કે એવા કંઈક પ્રાસાનુપ્રાસ કરીને લખ્યું એટલે વાંચનારને લાગ્યું કે હશે, બાપુને અંબાણી પરિવાર સાથે સંબંધ હોવા છતાં આવી જાહેર કમેન્ટ્સ એમણે કરી પણ હોય. આ બાજુ આપણા વાચકો અત્યંત ભોળા હોય છે. તેઓ છાપામાં છપાયેલી દરેક ખરાબ વાતને સાચી માની લેતા હોય છે. સારી વાત હશે તો કહેશે કે એ તો પૈસા આપીને છપાવ્યું હશે, તંત્રી સાથે ઓળખાણ હશે એટલે છપાઈ ગયું હશે. પણ કોઈના વિશેની નિંદા, ટીકા, કુથલી કે તદ્દન પાયા વિનાની અફવાઓને પણ છાપામાં સમાચાર રૂપે વાંચીને વાચકો એને સાચી માની લેતા હોય છે.
બાપુ પર ઉપરાઉપરી ફોન આવવા માંડ્યા. બાપુ ખુલાસાઓ કરીને થાક્યા કે બાપ, મેં ઈન્ટરવ્યુ આપ્યો જ નથી, આ શબ્દો મારા નથી. પણ હજારોમાં વેચાતા છાપાના લાખો વાચકોમાંથી દરેકના સુધી તો આ ખુલાસો ક્યાંથી પહોંચવાનો? બાપુએ મને પૂછ્યું: શું કરવું જોઈએ. બાપુની નિકટના સાથીઓ એક પ્રેસનોટ તૈયાર કરીને ખુલાસા રૂપે એ છાપાને મોકલવાની તરફેણમાં હતા, સૌરભભાઈ જરા નજર નાખી લે તો મોકલી આપીએ.
મિડિયા, ચાહે એ પ્રિન્ટ હો કે ઈલેક્ટ્રોનિક હો કે સાયબર મિડિયા હો — વધુ ને વધુ લોકોને પોતાના તરફ આકર્ષિત કરવા આ કે આનાથી અનેકગણાં ગતકડાં સતત કરતું રહે છે, કરવું પડે છે — એવો એમનો બચાવ હોય છે.
બીજાઓનું ધ્યાન પોતાના તરફ ખેંચાય એ કોને ના ગમે. નાનું બાળક પણ માતાનું અટેન્શન મેળવવા ભેંકડો તાણતું હોય છે — થાબડો કે ચૉકલેટ આપો કે ખુશ. મોટા થયા પછી બાળકને ખબર પડે છે ઘરમાં રડવાથી અટેન્શન નહીં મળે, વડીલોને માન આપવું પડશે, ઘરનું નામુંમોટું કામ કરવું પડશે, સરખી રીતે ભણવું કે કમાવવા જવું પડશે. સમાજમાં સ્વતંત્ર રીતે ઉઠબેસ કરતાં થઈ જાઓ ત્યારે બે જણમાં પૂછાતા થવાની ઈચ્છા જાગે અને ત્યારે અડોશપડોશનાં, સોસાયટીનાં, જ્ઞાતિબંધુઓનાં કામ કરીને તમારે સૌનું ધ્યાન આકર્ષિત કરવું પડે. તમે અભિનેતા હો તો અભિનય કરીને અને ક્રિકેટર હો તો ક્રિકેટ રમીને લોકોનું ધ્યાન દોરવાનું હોય.
કલ્પના કરો કે ટીમમાં નવોસવો દાખલ થયેલો ખેલાડી આખી દુનિયાનું ધ્યાન ખેંચવા માટે સૅન્ચુરી ફટકારવાની મહેનત કરવાને બદલે મેદાનમાં તદ્દન નાગો થઈને દોડવા માંડે તો? તો બીજા દિવસે તમામ છાપામાં એના ફોટા છપાશે, ટીવીચૅનલો બ્રેકિંગ ન્યુઝ આપતી રહેશે–દુનિયા આખીનું ધ્યાન એના પર જશે. સૅન્ચ્યુરી બનાવવાની મહેનત જેઓ કરવા માગતા નથી કે સૅન્ચ્યુરી ફટકારવાની જેમનામાં આવડત, ધીરજ કે લાયકાત નથી તેઓ જ નિર્વસ્ત્ર થઈને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે.
આ થઈ છાપાની વાત. પત્રકારોની સામેના છેડે વાચકો છે, સેલિબ્રિટીઓના ફૅન્સ છે, ચાહકો છે. તમને ખબર છે કે તમે મોટી હસ્તીઓનાં ભરપૂર વખાણ કરશો તો તમને કોઈ નહીં સાંભળે કારણ કે તમારા જેવા બીજા લાખો-કરોડો વખાણ કરાનારાઓ છે. પણ જો તમે ટીકા કરશો તો? તો તરત જ તમે બીજા લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચી શકશો.
મને ગમતા બ્લૉગ્સમાંના બે બ્લૉગ છે — બીગબી.બીગ અડ્ડા.કોમ અને જેફ્રીઆર્ચર્સ.બ્લોગસ્પોટ.કોમ. અમિતાભ બચ્ચનના બ્લૉગ પર બે દિવસથી બચ્ચનજી વાજબી રીતે ખફા છે. કોઈ ભાઈ સાહેબે બચ્ચનજીના બ્લૉગની આકરી ટીકા કરતો એસએમએસ બચ્ચનજીના ખાનગી નંબર (જે એમની પરવાનગી વિના મેળવવામાં આવ્યો હતો) પર કર્યો. અડધી રાતે. હું તમારો કેટલો મોટો ચાહક છું, તમારા પિતા હરિવંશરાયનો કેટલો મોટો ચાહક છું… પણ લખવામાં ક્યાં તમે અને ક્યાં એ? આવું કહીને એમણે વધુ વાક્યોમાં બચ્ચનજીને બે-ચાર આકરા વાક્યોમાં ખૂબ સંભળાવ્યું.
બચ્ચનજીએ અક્ષરશઃ એ એસએમએસ પેલા ભાઈના નામ અને ફોન નંબર સાથે બ્લૉગ પર મૂક્યો અને કહ્યું કે જે માણસ મારા પિતાનો ચાહક હોય તેણે હરિવંશરાયની જોડણી તો સરખી લખવી જોઈએ (જોડણીમાં પ્રેક્ટિકલી દરેક અક્ષરે ભૂલ હતી). બીજું, મારા ખાનગી નંબર પર જેમને હું જાણતો પણ નથી તે વ્યક્તિ કેવી રીતે મારી પરવાનગી વિના મને સંદેશા મોકલી શકે.
પત્યું? ના. પેલાનો બીજો એસએમએસ આવ્યો. ડિયરેસ્ટ બચ્ચનજી, જોડણીભૂલ બદલ ક્ષમા, અજાણતાં થઈ ગઈ પણ તમે મને હેરાન પરેશાન કરી નાખ્યો. મારો નંબર બ્લૉગ પર મૂકવાની શી જરૂર હતી? અડધી રાતે લોકો મને જગાડીને મારી સાથે ગમે તેમ વાત કરે છે. હું ડિસ્ટર્બ્ડ છું વગેરે.
બચ્ચનજીએ લખ્યું તમને પડેલી તકલીફ બદલ ક્ષમા ચાહું છું તમારો એસએમએસ પણ મને અડધી રાત્રે જ મળ્યો હતો. તમારો ફોન નંબર પણ ‘અજાણતાં’ જ મારાથી બ્લૉગ પર મૂકાઈ ગયો વગેરે. અજાણતાં શબ્દ બચ્ચનજીએ જાણીજોઈને બોલ્ડમાં મૂક્યો.
જેવાની સાથે તેવા નહીં થઈએ ત્યાં સુધી આ દુનિયા તમને ચૈનથી જીવવા નહીં દે (આ હવે હું લખું છું, બચ્ચનજી વાળું તો ક્યારનું પૂરું. એમણે જે મુદ્દો કહેવાનો હતો તે જડબેસલાક કહેવાઈ ગયો). ઈંટનો જવાબ પથ્થરથી અને સ્કૂટરનો જવાબ ટ્રકથી. આપ ભલા તો જગ ભલા એવું નાનપણથી શીખવાડવામાં આવ્યું પણ તે વાત અમુક જ પરિસ્થિતિમાં લાગુ પડે તે તમને કોઈ નથી શીખવતું. આજ કાલ મારી ફેવરિટ કહેવત છે: ‘તમે શાકાહારી છો એટલે સિંહ તમારો શિકાર નહીં કરે એવી કોઈ ગૅરન્ટી નથી! મારી ‘બહેનપણી’ ‘ઇશિતા’એ ‘ચિત્રલેખા’ની મોસ્ટ પોપ્યુલર ‘મુખવાસ’ કૉલમમાં આ કહેવત લખી અને મેં એ વાંચી ત્યારથી એ મારા ચિત્તમાંથી ખસતી નથી. વાત ક્રુઅલ છે પણ રિયલ છે.
તમારા વિશે સતત કોઈ કે બધા એલફએલ બોલ્યા કરતાં હોય, તમારી સાથે ટપલીદાવ રમતાં હોય, તમને વગર કારણે ધક્કે ચડાવતાં હોય તો તમે શું કરો? મોરારિબાપુ અને બચ્ચનજીએ જે કર્યું તે કરો.
બાપુ અને બચ્ચનજીએ બીજું શું શું કર્યું? આવતી કાલે.
ગુજરાતમાં અમીરખાનની ‘ફના’નો મામલો જામ્યો હતો ત્યારે એક ટીવી ચેનલના રીપોર્ટરે અમિતાભને પૂછ્યું કે ” લોકશાહીમાં અમીરખાનને કોઈ વાતનો વિરોધ કરવાનો હક નથી?”
જવાબમાં અમિતાભે કહ્યું કે “અમીરખાનને વિરોધ કરવાનો હક છે અને એટલોજ હક ગુજરાતની પ્રજાને પણ કોઈ વાતનો લોકશાહી રીતે વિરોધ કરવાનો છે.”
પણ પછીથી એ ચેનલે અમિતાભનું અર્ધું વાક્ય જ વારંવાર પ્રસારિત કર્યું કે “અમીરખાનને વિરોધ કરવાનો હક છે.” અને ઉછળી ઉછળીને
ચાલું કરી દીધું કે “અમિતાભે અમીરખાનની ફેવર કરી” અમિતાભને ગુજરાતની પ્રજા સાથે અથાડી દેવાનો આ એક હલકટ પ્રયાસ હતો પણ એ સફળ ન થયો.
બસ… અમિતાભને કે ગુજરાતની પ્રજાને કે કોઈને પણ વાંધો ત્યાં પડે છે.
અડવાણીની બહુચર્ચિત ઝીણાની પ્રશંસા તથા અશોક સિંહલે (ગાંધીનગરમાં મંદિરો તોડવા બાબતે) મોદીને ઔરંગઝેબ સાથે સરખાવ્યા તેમાં પણ આવું ‘મિસ રિપોર્ટિંગ’ જ હતું.
જયવન્ત,
સાચી વાત છે. ઝીણા બાબતે વિચારધારામાં અડવાણીની ફુલ સ્પીચ આપીને સાબિત કર્યું હતું કે આ બધી બબાલ કેટલી જુટ્ઠઠી હતી.
આભાર.
હમણાં નરેન્દ્ર મોદીએ અમદાવાદની સભામાં માત્ર સચિન તેંડુલકરનું ઉદાહરણ આપ્યું(પોતે જે કહેવા માંગતા હતા એ વાતના સરળીકરણ માટે) અને મિડિયાએ સાગમટે હેડલાઈન ચલાવી કે મોદીએ પોતાની તુલના સચિન તેંડુલકર સાથે કરી. આ હેડલાઈન ચાલી જ ગઈ. આમાં કોણ ક્યાં કહેવા જાય કે ભઈ ઉદાહરણ અને સરખામણીમાં ફેર સમજો! લોકસભાની હાલની ચૂંટણી પહેલા મિડિયાની ભૂમિકા ભડ જેવી નહીં પણ ભડ.. જેવી હતી. મિડિયાની રાક્ષસી બદમાશીના આવા તો અનેક ઉદાહરણ આપી શકાય.
મને યાદ ચે ક્યાક બક્શીજી ે કહ્ય હતુ કે ,”there is nothing called absolute freedom”in this world…મિડીયા ને પ્ણ આ વાત એટ્લી જ લાગૂ પડે છે…
દેશી ગુજરાતી,
જપન,
મિડિયા મોનિટરિંગની એટલા માટે જ તો જરૂર છે.
મારું એક સ્વ્પ્ન છે આવી વ્યવસ્થા ઊભી કરવનું જે હું છેક ૨૦૦૨થી જાહેરમાં વ્યક્ત કરતો આવ્ય છું. લેટ્સ સી, ક્યારે પૂરું થાય છે!
શિવાની,
તું લખતી વખતે show keyboardનું બટન ઓન રાખીશ તો ભૂલો નહીં થાય. I am glad that you have also started using this new facility on our blog.
પ્રિય સૌરભ્ ભઈ કી બોર્ડ્ જડ્તુ નથી.
બાકી જાફર ભાઈ તીરન્દાજ્ના બ્લોગ્ ના અમે પણ પ્રેમી છીએ. મજા પડી ગઈ. હવે નિયમિત લખજો.
-કેતન મિસ્ત્રી
કેતન,
comments boxની નીચે જે બે બટન છે ત્યાં જ show keyboardનો option છે.
EFની જાણ માટેઃ જાફરભાઈ તિરંદાજ એટલે Jeffrey Archer(‘A quiver full of arrows’is his first collection of short stories). quiver is બાણ મૂકવાનું ભાથું જેને ઉર્દુમાં ‘તરકશ’ કહે જે જાવેદ અખ્તરનો પહેલો કાવ્ય સંગ્રહ.કેતને ૧૯૯૫-૯૬ના ગાળામાં વિક્રમ વકીલના તંત્રીપદે પ્રગટ થતા દૈનિક ‘સમાંતર’ માટે જેફ્રી આર્ચર્ની નવલકથા shall we tell the president (or was it ‘not a penny more not a penny less?)નો સરસ અનુવાદ જાફરભાઈ તિરંદાજના નામે કર્યો હતો. મેં અને કેતને ૧૮૮૩-૮૪મા હસમુખ ગાંધી માટે અને પછી ‘સમાંતર’ માટે સાથે કામ કર્યું. કેતન મિસ્રી ‘ચિત્રલેખા’ના લાખો વાચકોમાં વંચાતું ગુજરાતી પત્રકારત્વનું ઘણું મોટું નામ છે.
સૌરભભાઈ,
તમે લખો છો: “આપણા વાચકો અત્યંત ભોળા હોય છે. તેઓ છાપામાં છપાયેલી દરેક ખરાબ વાતને સાચી માની લેતા હોય છે”
એકદમ સાચી વાત, અમે (me & Kunal Dhami) આ વિશે ફોનમાં ઘણીવાર બળાપો કાઢતા હોઇએ છીએ કે સાલું વાંચક બનવાનાં ક્લાસ નથી હોતા નહિંતર મોટાભાગના (ગુજરાતી વાંચકો અને લેખકો )ને એમાં ભરતી કરવા જોઇએ.